બાપુ ..સોરી!! ..હું તમારી ભક્ત નથી....

ગાંધીજી એ હિન્દ સ્વરાજમાં લખ્યું છે, પાર્લામેન્ટ એક વાંઝણી અને વેશ્યા છે... એ એમણે ઇંગ્લેન્ડના પાર્લામેન્ટ ના સંદર્ભ માં લખ્યું છે, કે જેના તરફ આપણે ખૂબ અપેક્ષા રાખતા હતા.
આ આકરા શબ્દ વાપરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે એમણે આ બંને શબ્દનો ખરેખરનો જે અર્થ છે તે, ઇંગ્લેન્ડના પાર્લામેન્ટ ને કેવી રીતે લાગુ પડે તે વિગતે કહ્યું છે.જેનામાંથી કશું સાર, અર્થનું ઉપયોગી ન જન્મે તે વાંઝણી ..સ્ત્રીને ,કુદરતે પ્રજનન, એટલે કે નિર્મિતીની ભૂમિકા સોંપી છે, તે તેમ ન કરે, અથવા નિષ્ફળ રહે ત્યારે એક તુચ્છ, તિરસ્કૃત, હીન એવી ભાવના વ્યક્ત કરતો આ શબ્દ...સ્ત્રીના અસ્તિત્વનો જાણે બીજો કોઈ અર્થ જ ન હોઈ શકે.... અથવા આના વગર તેનું અસ્તિત્વ જ ન હોય ...એવો ફેંસલો આપી દેતો આ શબ્દ અનેકો સ્ત્રીઓના વેદનાની ગંગોત્રી  છે...
બીજો શબ્દ વેશ્યા... પહેલાં શબ્દમાં સ્ત્રીની કહેલી ભૂમિકાને સીધી રીતે દર્શાવનારો શબ્દ.. શરીર સુખ આપી શકે તેવું શરીર ધરાવનાર એક પ્રાણી જેટલુંજ સ્ત્રી ને આંકનાર સમાજ ના (કુ) બુદ્ધિ નું પ્રદર્શન ...
પુરુષને જોઈએ તેવું, તેટલું, સુખ આપ્યા બાદ પણ, એ સુખ આપ્યું તે માટે સ્ત્રી ને શિક્ષા આપતો, ગંદી ગણતો શબ્દ...
ગાંધીજીએ પાર્લામેન્ટની લોકોને સમજવાની નિષ્ફળતા માટે  આ શબ્દો કહ્યા... પણ એ ભૂલી ગયા કે, જે જનતા માટે તેઓ આ કહી રહ્યા છે, તેમાં સ્ત્રીનો બરાબર હિસ્સો છે...
જે સમાનતાનો સંદેશ તેઓ તેમના પ્રાર્થના દ્વારા દુનિયામાં વહેતો કરે છે તેના પહેલા હકદાર સ્ત્રી છે...

સત્ય, અહિંસા, સાદાઈ, ત્યાગ, આ મૂલ્યો જીવવા માટે હું ગાંધી બાપુ ને લાખ સલામ કરું છું... દુનિયા કેમ બચશે ?આ સૌથી વિકટ સમસ્યાનું આ સરળ નિરાકરણ આજે પણ બાપુ જ આપી શકે...
પણ એમને ઉપર વાપરેલા શબ્દો અને તેના પાછળના ભાવ માટે એમને હું માફ નહીં કરું. હું સમગ્ર રિતે સંપૂર્ણપણે કોઈ એકને માનું, તે શક્ય નથી .હું ગાંધી બાપુ સાથે હજાર વખત અસહમત થાઉં...અને તોય એમના પાયાના મૂલ્યો ને વરેલી રહું..
બાપુ ..સોરી ..હું તમારી ભક્ત નથી....

दिल